Fact Check: અમદાવાદ એરપોર્ટના નામે વાયરલ થઈ રહેલી તસવીર ચેન્નાઈની વર્ષ 2015ની છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એરપોર્ટ પર પાણી ભરાયું હોય તેવી તસવીર ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તસવીરમાં ઘણા બધા વિમાનોને પાણીમાં ઊભેલા જોઈ શકાય છે. હવે કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ અમદાવાદ એરપોર્ટની તસવીર છે. આ તસવીરને તાજેતરની ગણાવીને સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરનો ગુજરાત સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીર ચેન્નાઈ એરપોર્ટ છે અને આ જૂની તસવીર છે. યુઝર્સ તસવીરને ગુજરાતની જણાવીને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ‘Smart India’એ 2 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “#ગુજરાત_મોડેલનું અમદાવાદ એરપોર્ટ બન્યું બંદર. #મીડિયાની નજરોથી ગાયબ કેમ?”

ઘણા અન્ય યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ તસવીરની તપાસ માટે અમે  Google રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કર્યો. અમને આ તસવીર જૂની તારીખમાં ઘણી વેબસાઇટ્સ પર મળી. સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીર જેવી જ તસવીર ઝી ન્યૂઝની વેબસાઈટ પર 5 ડિસેમ્બર 2015ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં મળી. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, વાયરલ તસવીર ચેન્નાઈ એરપોર્ટની છે.

સર્ચ દરમિયાન અમને આ તસવીર ‘scroll.in’ની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં મળી. 28 જુલાઈ 2017ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવાયું છે કે, “ધ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)એ એક સ્પષ્ટતા જાહેર કરી ડિસેમ્બર 2015માં ચેન્નાઈ એરપોર્ટના પૂરની એક તસવીરને અમદાવાદ એરપોર્ટની જણાવીને અપલોડ કરનાર એક ફોટોગ્રાફરને છૂટ્ટા કર્યા છે.” ઘણા મોટા-મોટા મીડિયા હાઉસે પણ આ તસવીરને અમદાવાદની જણાવીને પ્રકાશિત કરી હતી. આ પછી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને પીટીઆઈની આ પોસ્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જે બાદ પીટીઆઈએ ટ્વીટ કર્યું અને પોતાની ભૂલ પર પસ્તાવો કરતા સંબંધિત ફોટોગ્રાફરની સેવાઓ સમાપ્ત કરી દીધી હતી.

સ્મૃતિ ઈરાનીએ પણ પોતાના ટ્વીટમાં વાયરલ તસવીરને ચેન્નાઈની જણાવી હતી. જે બાદ પીટીઆઈએ ટ્વીટ કરીને પોતાની ભૂલ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ટ્વીટને અહીં જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીર ઘણા વર્ષોથી વાયરલ કરવામાં આવી રહી છે. વર્ષ 2017માં આ તસવીરને ચંદીગઢ એરપોર્ટની જણાવીને શેર કરવામાં આવી હતી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર કે જેને ગુજરાતના અમદાવાદ એરપોર્ટની તાજેતરની તસવીર જણાવીને શેર કરવામાં આવી રહી છે, તે ચેન્નાઈની જૂની તસવીર છે.

વાયરલ તસવીરને લઈને અમે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ તસવીરને શેર કરી. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે આ તસવીર અમદાવાદ એરપોર્ટની નથી. તેઓએ અમને જણાવ્યું કે અગાઉ પણ આ તસવીર ગુજરાતના નામે વાયરલ થઈ હતી, તેને ગુજરાત સાથે કોઈ સંબંધ નથી.

અંતે અમે ચેન્નાઈની જૂની તસવીરને ગુજરાતની જણાવીને શેર કરનાર પેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે પેજને 5,000થી વધુ લોકો ફોલો કરે છે. આ પેજને 25 નવેમ્બર 2017ના રોજ બનાવવામાં આવ્યું છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ તસવીર ચેન્નાઈની વર્ષ 2015ની છે. તસવીરને ગુજરાતના અમદાવાદ એરપોર્ટની જણાવીને સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. તસવીર પહેલાથી જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ