Fact Check: રાહુલ ગાંધીએ એવું નથી કહ્યું કે તેઓ PM બનશે તો બે મહિનામાં મોંઘવારી ઘટાડશે, દુષ્પ્રચારના ઈરાદે વાયરલ થઈ રહ્યું છે નકલી અને બનાવટી નિવેદન

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા વચ્ચે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ (રાહુલ ગાંધી) એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે જો તેઓ વડાપ્રધાન બન્યા પછી બે મહિનામાં મોંઘવારી ઘટાડી ન શક્યા, તો તેઓ દેશ છોડીને ચાલ્યા જશે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ લગભગ ત્રણ મહિના પહેલા નવી દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની “મોંઘવારી પર હલ્લા બોલ” રેલીમાં રાહુલ ગાંધીના સંબોધનની છે, જેમાં તેમણે વર્તમાન કેન્દ્ર સરકાર અને તેની નીતિઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમના આખા સંબોધનમાં તેમણે ક્યાંય એવું નથી કહ્યું કે જો તેઓ વડાપ્રધાન બન્યા પછી બે મહિનામાં મોંઘવારી ઘટાડી ન શક્યા, તો તેઓ દેશ છોડીને ચાલ્યા જશે. આ વીડિયો ક્લિપને ખોટા અને બનાવટી દાવાઓ સાથે દુષ્પ્રચાર કરવાના ઈરાદાથી વાયરલ કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘Entertainment star’એ વાયરલ વીડિયો (આર્કાઈવ લિંક)ને શેર કરતા લખ્યું છે કે, ”રાહુલ ગાંધીનું મોટું એલાન, મને વડાપ્રધાન બનાવો. હું 2 મહિનાની અંદર દરેક વસ્તુની કિંમત ઘટાડી દઈશ, નહીં તો હું ભારત છોડી દઈશ.”

અન્ય કેટલાક યુઝર્સે આ વીડિયોને સમાન દાવાઓ સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ ચાર કલાકથી વધુ સમયની છે. વીડિયોને સાંભળ્યા પછી ખબર પડે છે કે લગભગ 25 મિનિટની ઓરિજનલ વીડિયો ક્લિપને એક વીડિયોમાં ઘણી વખત જોડીને તેને ચાર કલાકથી વધુ લાંબી બનાવવામાં આવી છે.

લગભગ અડધા કલાકના ભાષણમાં રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની નીતિઓને લઈને પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. તેમના સમગ્ર ભાષણ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી પર કૃષિ કાયદાઓ (હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે), ખેડૂતોના મુદ્દાઓ, GST, બેરોજગારી, SMEને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ મોંઘવારીના મુદ્દે તેમણે ભાજપને ઘેરીને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન ગેસ, પેટ્રોલ, ડીઝલ, લોટ વગેરેના ભાવની વર્તમાન કિંમતો સાથે તુલના કરીને નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. તેમનું આખું ભાષણ એ આરોપ પર કેન્દ્રિત હતું કે નરેન્દ્ર મોદી જે સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, તે ગરીબ, ખેડૂતો અને સામાન્ય માણસ કરતાં કેટલાક કોર્પોરેટ્સને ફાયદો પહોંચાડનારી સરકાર છે. તેઓ આરોપ લગાવતા કહી રહ્યા છે કે વર્તમાન સરકાર ખેડૂતોની લોન માફ કરવાને બદલે કોર્પોરેટ કે મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે.

સર્ચમાં અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રાહુલ ગાંધીના આ ભાષણનો અસલ વીડિયો પણ મળ્યો, જેને 4 સપ્ટેમ્બર 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો નવી દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘મોંઘવારી પર હલ્લા બોલ’ રેલીમાં રાહુલ ગાંધીના ભાષણનો છે. આ રેલીનું આયોજન 4 સપ્ટેમ્બર, 2022ના રોજ કરવામાં આવ્યું હતું. પોતાના ભાષણમાં તેમણે ભારત-ચીન તણાવને લઈને પણ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

લગભગ અડધા કલાકના ભાષણનું સમાપન તેઓ ‘ભારત જોડો’ યાત્રા શરૂ કરવાની ઘોષણાની સાથે કરે છે, જે હજુ પણ ચાલુ છે. અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોર્પોરેટ ફ્રેન્ડલી હોવાનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્ર સરકારની નીતિઓને ખેડૂત વિરોધી અને સામાન્ય માણસ વિરોધી ગણાવી હતી. તેમણે સમગ્ર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદી પર કૃષિ, બેરોજગારી અને નાના ઉદ્યોગોના હિતોની અવગણના કરીને મોટા કોર્પોરેટ્સને ફાયદો પહોંચડવાનો આરોપ લગાવ્યો હતો. તેમના સમગ્ર ભાષણમાં તેમણે ક્યાંય એવું નથી કહ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે અને બે મહિનામાં મોંઘવારી ઓછી નહીં કરી શકે તો તેઓ દેશ છોડી દેશે.

વાયરલ વીડિયોને લઈને અમે કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે આ તે ક્રોધાવેશનું પરિણામ છે, રાહુલ ગાંધીના ‘ભારત જોડો’ યાત્રાથી શરૂ થઈ છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી તેમની યાત્રામાં સતત જનહિતના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને આ વાત સરકાર તથા તેમના સમર્થકોને પસંદ નથી આવી રહી, તેથી તેઓ આવા પ્રચાર દ્વારા રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે.”

“ભારત જોડો” યાત્રાની શરૂઆતથી જ રાહુલ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચારના મામલાઓમાં તેજી આવી છે. વિશ્વાસ ન્યૂઝના એનાલિસિસ રિપોર્ટમાં આ યાત્રા સંબંધિત મિસ-ઇન્ફોર્મેશનના ટ્રેન્ડને અહીં વાંચી શકાય છે.

નિષ્કર્ષ: રાહુલ ગાંધીએ એવું નથી કહ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે અને બે મહિનામાં મોંઘવારી ઓછી નહીં કરી શકે તો તેઓ દેશ છોડીને ચાલ્યા જશે. આ દાવા સાથેનો વીડિયો લગભગ ત્રણ મહિના પહેલા નવી દિલ્હીમાં યોજાયેલી “મોંઘવારી પર હલ્લા બોલ” રેલીનો છે. આ રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોર્પોરેટ ફ્રેન્ડલી હોવાનો આરોપ લગાવ્યો હતો અને મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારની નીતિઓને જનવિરોધી ગણાવી હતી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ